Saturday, April 15, 2017

હનુમાન જયંતી

હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે બધાં એ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી ઉજવી. આમ તો આ પોસ્ટ અગાઉથી લખવાની ઇચ્છા હતી પણ હશે, મોડું તો મોડું, લખીને વહેંચાય એટલે ઘણું.



આમ તો વૈષ્ણવ વાણિયા હોવાથી ઘરમાં પહેલેથી જ પુષ્ટિમાર્ગની રીત પ્રમાણે કૃષ્ણભક્તિ જોઈ અને જાણી છે. પણ નાનપણમાં અમુક પ્રસગો એવા બન્યા કે કુદરતી રીતે હનુમાનજી માટે આસ્થા થઇ. સૌથી પહેલું કારણ તે રામાનંદ સાગર રચિત રામાયણ કે જે અમારી પેઢીના દરેક બાળકે હોંશે હોંશે દર રવિવારની સવારે નાહી,ધોઈને પરવારીને ટીવી સામે સમૂહમાં ગોઠવાઈને દૂરદર્શન પર જોયું.એ તો જાણે આપણા સ્મરણપટ પર એવું જડાઈ ગયું છે કે જેમ શિલા પર કોતરેલો કોઈ લેખ. સાગરના મોજાં રૂપી કાળ કે નસીબની ગમે તેવી થપાટો તેને ભૂંસી ના શકે. એમાં સૌથી મજાની વાત એ છે કે Internet/Youtube ના આ જમાનામાં આ ટીવી શ્રેણીઓ ફરી ફરીને જોઈ શકાય છે. અને તે પણ નિશુલ્ક! ભગવાન રામાનંદ સાગર અને ઈન્ટરનેટની શોધમાં સહભાગી થયેલ દરેક જીવનું ભલું કરે.

બીજું કારણ તે સ્કૂલના ખાટા-મીઠાં અનુભવો. પિતાજીની મુંબઈ બદલી થઇ હોવાથી ત્યાં ભારત-ભરની મિશ્ર-પ્રજા જોડે રહેવા-ઉછરવાનો મોકો મળ્યો. ત્યારે ખ્યાલ આવી ગયેલો કે દાળ-ભાતીયાં અને ભીરુ ગુજરાતી વૈષ્ણવ બાળકો રમત-ગમતના મેદાનમાં ઠાકોર, દરબાર, રાજપૂત કે શીખ કે બિહાર/ઉત્તર પ્રદેશના ભૈય્યાઓના બાળકોનો મુકાબલો ના કરી શકે. અમુક "Bully kids" સામે અમે બિલ્લી kids  હતા એવું મને લાગતું. બધાં જ વૈષ્ણવ સરખાં હોય છે એવું કહેવાનો આશય નથી પણ મને તો એવું જણાયું હતું કે હું ને મારા પિતરાઈ ભાઈ-બહેનો આમાં 'ફીટ' નથી થતા. શારીરિક ક્ષમતાની ઊણપ બહુ કઠતી એટલે પછીદરેક હિન્દુના પહેલા (& All time favorite) એવા Superman Character હનુમાનજી જ યાદ આવે ને!

ત્રીજું તે દર-વર્ષે કાળી-ચૌદશના દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ શાહીબાગ નજીક કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા 'કેમ્પ'ના હનુમાનના દર્શન.ચોથું, દર શનિવારે મળતો પ્રિય નાળીયેરનો પ્રસાદ. બીજાંય કારણ હશે જેમ કે હિન્દી ચલચિત્રોમાં જોયેલું કે શક્તિ મેળવવા હનુમાનજીની ઉપાસના વગેરે. એટલે આમ ધીમે ધીમે કૃષ્ણભક્તિ સાથે સાથે હનુમાનભક્તિ શરૂ થઇ.

સ્વાભાવિક રીતે હનુમાન-ચાલીસાથી શરૂઆત થઇ. શરૂઆતમાં તો મમ્મી-પપ્પાએ ગોખાવેલું આખુંય પોપટની જેમ બોલી જતો. આજની તારીખેય રોકેટ-સ્પીડે પાઠ થઇ જાય! પણ મોટા થયાં પછી દરેક ચોપાઈનો અર્થ જાણવાની તાલાવેલી જાગી. હનુમાન-ચાલીસામાંથી જાણેલી ૨ રોચક વાતો મારે અહીં કરવી છે.
૧)
जुग सहस्त्र योजन पर भानु |
लील्यो ताहि मधुर फल जानू ||

આ ચોપાઈને ક્યારેય સમજવા પ્રયત્ન કર્યો છે? આજ ના whatsappના યુગમાં કદાચ તમે આના વિષે કોઈ forward દ્વારા જાણેલુંય હશે. પણ આ forwards માવઠાના મેઘ જેવા છે. ક્યારે આવીને જતાં રહે એની કોઈ ગેરંટી નહિં.એમનું કોઈ કાયમી સરનામું નહિ, એટલે જ મને બ્લોગ પસંદ છે કે આપણે માહિતી કાયમ માટે એક જગ્યાએ રાખી શકીએ.
लील्यो ताहि मधुर फल जानू

હનુમાનજી भानु -એટલે કે સૂર્યને મધુર ફળ માનીને તેને લેવા છલાંગ લગાવી એટલું તો બધાં જ સમજી જશે પણ તે ઉપરાંત આ ચોપાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આંકડામાં જણાવે છે તે ખબર છે?

આધુનિક ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને તેની ભ્રમણ-કક્ષા ગોળ નહિ પણ લંબગોળ છે. તેથી પૃથ્વીથી સૂર્યનું અંતર સમયની સાપેક્ષમાં સતત બદલાતું રહે છે. નીચેની આકૃતિથી સ્પષ્ટ ખ્યાલ આવશે.

દર વર્ષે જુલાઈ ૩ની આસપાસ આપણી પૃથ્વી સૂર્યથી સૌથી વધુ દૂર હોય છે. આશરે ૯૪,૫૫૫,૦૦૦ માઈલ એટલે કે ૧૫૨,૧૭૧,૫૨૨ કિલોમીટર!! તેવી જ રીતે જાન્યુઆરી ૩ની આસપાસ પૃથ્વી સૂર્યથી સૌથી વધુ નજીક હોય છે, ૯૧,૪૪૫,૦૦૦ માઈલ અથવા ૧૪૭,૧૬૬,૪૬૨ કિમી. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર ૯૨,૯૫૫,૮૦૭ માઈલ અથવા ૧૪૯,૫૯૭,૮૭૦ કિમી.

હવે આપણે તે ચોપાઈ જોઈએ. વેદિક ગણિત મુજબ,
 जुग - ૧ યુગ = ૧૨,૦૦૦
 सहस्त्र  - સહસ્ત્ર  = ૧,૦૦૦
योजन - યોજન  = ૮ માઈલ.

એટલે  ૧૨,૦૦૦ X ૧૦૦૦ X ૮ = ૯૬,૦૦૦,૦૦૦ માઈલ.  
૧ માઈલ = ૧.૬ કિમી. માટે કુલ થયા ૧૫૩,૬૦૦,૦૦૦ કિમી.

લો બોલો, ૪૦૦ વર્ષ પહેલાં૧૬મી સદીના શરૂઆતમાં તુલસીદાસ રચિત હનુમાન ચાલીસમાં વિજ્ઞાન/ગણિત ક્યાંથી આવ્યું? અને તે પણ એકદમ સટીક!? કારણકે હિંદુ/સનાતન ધર્મનો પાયો જ વિજ્ઞાન છે! જેણે ઊંડાણથી જાણવા મહેનત ના કરી એવાઓએ આપણા ધર્મને અંધ-શ્રદ્ધામાં ખપાવીને પોતાનાથી અળગો કરી દીધો.

૨)                                   अष्ट सिद्धि नौ निधि के दाता। 
                                      अस बर दीन्ह जानकी माता।। 

જે[હનુમાન જી] જાનકી માતા [સીતાજી]ના આશીર્વાદથી ભક્તોને अष्ट सिद्धि- આઠ સિધ્ધિઓ અને नौ निधि - નવ નિધિઓ પ્રદાન કરી શકે છે. ગુજરાતીમાં સમજ તો પડી ગઈ પણ આ આઠ સિધ્ધિઓ વળી કઈ? આ જાણવું હોય તો હિંદુ દર્શન શાસ્ત્ર વાંચવું પડે. અહી મને કૃષ્ણભક્તિ કામે લાગી અને ઘરમાં ISKCONમાંથી લીધેલા એક પુસ્તકમાંથી આનો ઉત્તર મળ્યો. આ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે.

૧ - પરમાણુ (સૂક્ષ્મ અણુ)થી પણ નાના થઇ શકવાની વિદ્યા (અણીમા)
૨ - પર્વતથી પણ વધુ મોટા થઇ શકવાની વિદ્યા (ગુરૂમા)
૩ - હવાથી પણ વધુ હલકાં થઇ શકવાની વિદ્યા (લઘીમા)
૪ - સૌથી ભારે ધાતુ(ઓસ્મિયમ અને ઈરીડીયમ - Osmium and Iridium) કરતાં પણ વધુ ભારે થઇ જવાની વિદ્યા 
૫ - ઈચ્છા અનુસાર કોઈ પણ ભૌતિક સુખ પામી લેવું કે સર્જન કરવું. દા.ત. સૃષ્ટિનું સર્જન (ઈશત્વ)
૬ - પ્રભુની જેમ કોઈપણ જીવને પોતાના વશમાં કરવું.
૭ - સંપૂર્ણ બ્રહ્માંડમાં કોઈ પણ લોક (સ્વર્ગલોક, મૃત્યુલોક[આપણી પૃથ્વી] , પાતાળલોક વગેરે )માં મુક્તપણે વિચરવું/વિહરવું.
૮ - સ્વેચ્છાએ પસંદગીના સ્થળ/સમયે દેહત્યાગ કરવો અને પસંદગીની જગ્યાએ પુનર્જન્મ લેવો. 

મારો ઉદ્દેશ્ય તમને પણ રસ લેતાં કરવાનો છે. રસ પડ્યો હોય તો કદાચ હવે નવ નિધિઓ વિષે જાણવાની ઉત્સુકતા જાગી હશે. એટલે વધુ જાણવું હોય તો જાતે શોધ-ખોળ કરો! [અને બ્લોગ લખીને મને મોકલજો!]

જો તમને પણ હનુમાનજીમાં આસ્થા/પ્રેમ જાગે અને સરળ ઉપાસના શીખવી હોય તો નિમ્નલિખિત પદ્ધતિ સર શરૂઆત કરી શકો છો. આ માહિતી બદલ શાસ્ત્રીજી હિમાંશુભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.લખેલું બધું જ શક્યના હોય તો વાંધો નહિ, થાય એટલું કરવું. હનુમાનજી હોય કે રાધાજી કે કોઈ પણ આરાધ્ય દેવ. પ્રભુ ભાવ જુએ છે, કેટલું કર્યું ને કેટલું ના કર્યું એનો કઈ હિસાબ નથી રાખતા.  

ઉપાસનાની સરળ રીતઃ
દરરોજ પ્રાતઃકર્મ પતાવી સ્નાન કરી હનુમાનજી ચાલીસાનો પાઠ કરવો. મંગળવાર તથા શનિવારે હનુમાનજીનું પૂજન કરી તેમના કપાળમાં સિંદૂર લગાવવું. તેમને જે ભક્ત સિંદૂર ચડાવે છે તે ભક્તના મનમાંથી ભયની લાગણી સદા માટે ચાલી જાય છે. શત્રુઓ ફાવતા નથી. તબિયત સારી રહે છે. દર શનિવાર તથા મંગળવારે આંકડાના મોટા ફૂલની માળા અવશ્ય ચડાવવી, તેમને પ્રસાદમાં બુંદી, સૂકો મેવો કોઇ ફળ કે મલિદો ચડાવી શકાય છે.
હનુમાનજીની તત્કાળ પ્રસન્નતા મેળવવા જે તે ભાવકે રાતના નવ પછી શનિવારે સો હનુમાન ચાલીસાના પાઠ કરવા. ૧૦૧ કે ૧૦૮ કરવા નહીં ફક્ત ૧૦૦ હનુમાન ચાલીસા કરવા કારણ કે હનુમાન ચાલીસામાં સ્વયં તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે, જો શત બારપાઠ કરે કોઇ છૂટે હિ બંદિ મહાસુખ હોઇ. હનુમાન ચાલીસાને પોતાની જિંદગીભરનું પુણ્ય અર્પણ કરીને શ્રી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાને અપાર સિદ્ધિ અર્પણ કરી છે. પાઠ બને તો મોઢે કરવા. જેમને પાઠ મોઢે નથી તેવા ભક્તે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાના પાઠ કરવા. કારણ કે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાનું મહત્ત્વ વધારે છે. તે રંગ હનુમાનજીને ખૂબ પ્રિય છે. પાઠ બને તો લાલ પીતાંબર પહેરીને જ કરો. હા પાઠ કરવા બેસતી વખતે એક અખંડ દીપક સિંગતેલનો ચાલુ રાખવો. અગરબત્તી અખંડ રાખવી. કપાળે એક તિલક સિંદૂરનું કરવું. પાઠ પૂર્ણ થયેથી બને તો સુંદરકાંડનો એક પાઠ કરવો. પાઠ પૂર્ણ થયા પછી વડીલોને પગે લાગવું. તેમની આરતી કરવી. પ્રસાદ વહેંચવો. પાઠમાં બેસતાં પહેલાં ગણપતિ મહારાજને ૧૦૦ પાઠ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવી. પાઠ દરમ્યાન ઇશારા કરવા નહીં, બોલવું નહીં.
હનુમાનજી વીર છે, વીર તથા ઉગ્ર દેવ દેવીની ઉપાસના રાત્રે નવ પછી કરવાનું શાસ્ત્રોકત વિધાન છે. રાતના નવ પછી વીર તથા ઉગ્ર દેવ દેવી પૃથ્વી પર વિચરણ કરતા હોય છે. જ્યાં તેમની સાધના ઉપાસના રાત્રે નવ પછી થતી હોય છે ત્યાં તેઓ તત્કાળ પહોંચી જઇ પ્રસન્નતા અનુભવે છે, તે ખુશ થતાં જ તેઓ જે તે ભક્તની મનની ઇચ્છા જાા તેને પૂર્ણ કરે છે.

                                           સાવધાની
મન, કર્મ, વચનથી પવિત્ર રહેવું, પારકી સ્ત્રીને હંમેશાં માતા કે બહેન કે દીકરીનાં સ્વરૂપે જોવાં, કોઇ સ્ત્રી માટે મનમાં કુભાવ લાવવો નહીં, બને તેટલું બ્રહ્મચર્ય પાળવું.

સમગ્ર ભારતમાં તમને ઠેર ઠેર શિવાલય અથવા હનુમાનજીનાં નાનાં-મોટાં મંદિરો જોવા મળશે. જેટલા શિવાલય હશે તેટલાં જ તેનાથી વત્તા કે ઓછા અંશે હનુમાનજીનાં પણ મંદિર જોવા મળે જ છે. હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમની સાધના જો કોઇ મન, વચન, કર્મથી પવિત્ર રહીને કરે તો જે તે હનુમાનજી ઉપાસકનાં કઠિનમાં કઠિન કે ખૂબ ભયંકર કષ્ટ દૂર થાય છે. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રીરામ ભક્ત હનુમાનજી છે. જેમ શંકરનું શિવાલય નંદિ વગરનું નથી હોતું તેમ શ્રીરામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજ અવશ્ય જોવા મળે છે.
હનુમાનજી, બળ, બુદ્ધિમાં સંપન્ન છે. તેઓ માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્યિક તત્વજ્ઞાન વગેરેનું ઊંડું જ્ઞાન ભગવાન સૂર્યદેવ પાસેથી શીખ્યા હતા. અર્થાત્ તેઓ શ્રી સૂર્યનારાયણના પ્રિય શિષ્ય છે.

જય શ્રી રામ. જય પવનપુત્ર હનુમાન.

આધાર-ભૂત માહિતી સ્ત્રોત :

http://www.sciencebehindindianculture.in/distance-between-sun-and-earth-is-mentioned-in-hanuman-chalisa/

http://sambhaavnews.com/aastha/hanumanji-3

http://scienceline.ucsb.edu/getkey.php?key=2687

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...