Sunday, December 18, 2016

ભારતીય તોપખાનું આધુનિકીકરણ કાર્યક્રમ

અમેરિકી લશ્કરની એમ-૭૭૭ અફઘાનિસ્તાન યુદ્ધ દરમ્યાન.

આજે ઉત્સાહમાં આપણા જાણીતા ગણાય એવા ગુજરાતી (સંદેશ, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, અકિલા ), હિન્દી (દૈનિક જાગરણ) અને અંગ્રેજી (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિંદુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયન એક્ષ્પ્રેસ) વગેરેની ઈ-કોપી ફેંદી મારી.એક પણ, એક પણ છાપામાં પહેલાથી છેલ્લા પાના સુધી ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નઈ હો!

આ મુંબઈ સમાચારનું બીજું પાનું એક ઉદાહરણ તરીકે જુઓ, છાપાના બીજા જ પાનાં પર (પહેલા પર તો તમે જાહેરાતો છાપી, તે બરાબર છે, આવક માટે જરૂરી છે ) દેશના મોટા સમાચાર હોય કે "મનોરંજન" સમાચાર?

જવા દો, આપણા ત્યાં છાપાવાળાઓને શેને પ્રાથમિકતા આપવી એની ગતાગમ ઓછી છે એ તો જૂની વાત થઇ ગઈ, મુદ્દા પર આવીએ.

૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ એ આપણા દેશના સંરક્ષણ માટે સુવર્ણ દિવસ હતો. આ મંગળવારની બપોરે ૪:૩૦ વાગે ઓરિસ્સાના બાલાસોરમાં સંપૂર્ણ સ્વદેશી બનાવટની ૧૫૫-મીલીમીટરની ભારતીય તોપે પ્રાયોગિક સાબિતીના ભાગ રૂપે પહેલો ગોળો દાગ્યો!!! જે ભારતીય લશ્કરના સાધન-સરંજામ (સાચું કહો તો એની તીવ્ર અછત) વિષે જાણે છે એજ આનું વિરાટ મહત્વ સમજી શકશે.

Advanced Towed Artillery Gun System (ATAGS) - આધુનિક ખેંચીને લઇ જવામાં આવતી ૧૫૫-મિમી, ૫૨-કેલીબરની રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO - Defense Research and Development Organization) દ્વારા નિર્મિત આ તોપ બે ખાનગી પેઢીઓના સહયોગથી બનાવવામાં આવી છે. કલ્યાણી ગ્રુપ અને તાતા પાવર(વ્યૂહાત્મક ઇજનેરી ડીવીઝન) ભાગીદારો છે. તે ઉપરાંત રક્ષા મંત્રાલય હેઠળ આવતું OFB-Ordinance Factory Board પણ આ પરિયોજનામાં જોડાયેલ છે. જમીનથી જમીન પર માર કરતી આ તોપના બે દિવસ પ્રયોગ થયા છે અને તકનીકી માપદંડો ઉપર તે સફળ નીવડી છે. કોઈ પણ નિર્માણાધીન/વિકાસાધીન શસ્ત્ર/સાધનનો પહેલી વાર ઉપયોગ એક ખૂબ મોટી કસોટી અને મોટું સીમા-ચિન્હ છે. કેટ કેટલાય ઇજનેરો અને ટેકનિશિયનોના રાત-દિવસના ઉજાગરા અને મહેનતની કસોટી થઇ હશે અને કેવી રીતે તેઓ ફાટી આંખે પહેલો ગોળો નિર્ધારિત લક્ષ્યને જઈને વીંધે છે કે નહિ તે જોઈ રહ્યા હશે. એક ઇજનેર તરીકે મારા એ બધાં જ જાત-ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન.

આજની તારીખે ભારતીય તોપખાનામાં ૧૫૫-મિમીની તોપોની અછત એ ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે અને જગ-જાહેર છે. અછત એટલી તીવ્ર છે કે ધારી લો કે એક સાથે ૫ જુદી જુદી જગ્યાએ કારગીલ ઉભા થાય તો આપણા લશ્કરની કળ વળી જાય. અને ચીન-પાકિસ્તાનની મિત્રતા એટલી ગાઢ થતી જાય છે કે આવનાર ભવિષ્યમાં આપણે એક-સામટા બે દુશ્મનો સામે બાથ ભીડવી પડે એ સાચી શક્યતા છે. પાકિસ્તાન એ ચીનનો દત્તક પુત્ર થઇ ચૂક્યો છે, ભવિષ્યના યુદ્ધમાં દીકરાને હાથ લગાડશો તો બાપ કઈ છાનો બેસી રહેવાનો નથી. 

દેશ-દ્રોહી, મુસલમાનોના તુષ્ટિકરણ અને હિન્દુઓના પતન માટે કટિબદ્ધ એવી કોંગ્રેસના છેલ્લા ૧૮ વર્ષના શાસનકાળમાં ૧૫૮૦ નવી તોપ માટેના આંતર-રાષ્ટ્રીય ટેન્ડરો કેટલીય વાર બહાર પડ્યા અને રદ્દ થયા. પરિણામ એ છે કે ૧૯૮૬માં ખરીદાયેલી ૪૧૦ હોવીત્ઝર (કારગીલ યુધ્ધમાં ટીવી પર જોઈ હશે) બાદ છેલ્લા ૩૦ વર્ષમાં એક પણ નવી તોપ લશ્કરમાં જોડાઈ નથી. ઘણાં વર્ષોના આ ટેન્ડરોના ખેલ બાદ, DRDOના પુણે સ્થિત ARDE(Armament Research and Development Establishment) - શસ્ત્રસરંજામ શોધખોળ અને વિકાસ વિભાગને દેશ માટે સ્વદેશી તોપ બનાવવાનું કાર્ય સોંપાયું હતું. OFB અને ભારત ફોર્જને નાળચા બનાવવાનો આદેશ અપાયો છે. 

માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના "Make in India" કાર્યક્રમ હેઠળ, ઉલ્લેખિત ખાનગી કંપનીઓના સહયોગથી લશ્કરની ખૂબ મોટી જરૂરીયાતને પહોંચી વળવા ૨ ઉત્પાદન એકમો આકાર લઇ રહ્યા છે એમ DRDOના વડા શ્રી ડો. એસ. ક્રિસ્ટોફરે જણાવ્યું.

નંગ દીઠ ૧૫ થી ૧૮ કરોડના ભાવે ૧૫૮૦ ATAGS તોપો માટે રૂ ૨૫,૦૦૦ કરોડનો કરાર કરવામાં આવ્યો છે. 

કોઈ પણ યુધ્ધમાં સૌથી વધુ સૈનિકોની શહીદી કે ઇજાનું કારણ તોપમારો હોય છે જે ૨૦-૩૦ કિલોમીટર દૂરથી કરવામાં આવે છે. પહેલા ભારે તોપમારો દુશ્મનનો કચ્ચરઘાણ વાળી દે પછી પાયદળ અને ટેન્કોની ટુકડીઓ ઓછામાં ઓછા સંઘર્ષ સાથે આગળ જઈને કબજો જમાવે છે. લશ્કરી ભાષામાં તોપ એ પાયદળની કરોડરજ્જુ છે... કરોડ ટટ્ટાર તો લશ્કર તૈયાર. એના વિના બધું નકામું. 

ભારતીય થળસેના પાસે ૨૬૪ તોપ રેજીમેન્ટ છે, દરેક પાસે ૨૧ તોપ હોય છે. મોટા ભાગની રેજીમેન્ટમાં હાલમાં હલકી ૧૦૫-મિમીની તોપો છે. પણ ભારતીય સેના ૧૫૫-મીમીની તોપને દરેક રેજીમેન્ટની પ્રાથમિક તોપ બનાવવાનું સ્વપન સેવે છે કારણકે ૧૫૫-મિમીનો મોટો ગોળો ઘણો વધારે વિનાશ નોતરે છે. 

૨૬૪ પૈકી જો માત્ર અડધી એટલે કે ૧૩૨ રેજીમેન્ટનું પણ આધુનિકીકરણ કરવા માટે 2772 તોપ જોઈએ જે હાલના ૧૫૮૦ તોપના ઓર્ડરથી ય પહોંચી ના વળાય. 

૨૫મી નવેમ્બર,૨૦૧૬ના  રક્ષા મંત્રી શ્રી મનોહર પારીકરે સંસદમાં જણાવ્યું કે ATAGS એ DRDOનો અત્યંત આગવી પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમોમાંથી (એક) છે જે સપ્ટેમ્બર,૨૦૧૫ સુધી માં સમાપ્ત કરવાનું લક્ષ્ય હતું જે હવે માર્ચ ૨૦૧૭ સુધી પાછો ઠેલાયો છે.

આ ઉપરાંત બીજી પણ તોપો હસ્તગત કરવાની યોજનાઓ કાર્યરત છે. ૧૯૮૬માં ખરીદાયેલી FH-77 બોફોર્સ ૩૯ કેલીબરના ગોળા દાગે છે. તેની ઉપલબ્ધ તકનીકી માહિતીના આધારે OFB તેની સુધારેલી આવૃત્તિની  ૧૫૫-મિમીની ૪૫-કેલીબરની તોપ બનાવી રહી છે. કેલીબર વધે એટલે તોપના નાળચાની લંબાઈ વધે અને તેની સાથે સાથે તોપની વધુ દૂર સુધી ત્રાટકવાની મારક-ક્ષમતા! આ સુધારેલી આવૃત્તિ તોપની મારક-ક્ષમતા ૨૭ થી વધીને ૩૫ કિલોમીટર થઇ જશે!!!! :)

૫મી ઓગસ્ટે રક્ષા મંત્રી શ્રીએ સંસદમાં જણાવ્યું કે આ સુધારેલી ૧૧૪  "ધનુષ" તોપ માટે OFBને ઓર્ડર આપવામાં આવ્યો છે. થળસેનાને પસંદ પડશે તો ઓર્ડર વધારીને ૪૦૦ તોપનો કરવામાં આવશે.

આ ઉપરાંત ભારતે અમેરિકા પાસેથી ૧૪૫ અત્યંત હળવી એવી ૧૫૫-મિમીની ૩૯-કેલીબરની BAE systems દ્વારા નિર્મિત તોપો માટે સોદો કર્યો છે એમ મંત્રી શ્રી એ ૨જી ડિસેમ્બરે  જણાવ્યું છે.

નવેમ્બર ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે ૧૫,૭૫૦ કરોડના ખર્ચે જીપ કે તેના સમાન વાહન પર લદાય એવી ૮૧૪ Mounted Gun Systems (MGS) (સન્ની દેઓલનું બોર્ડર યાદ છે?!)  મંજૂર કરી હતી. ૨૮૦ સ્વયં-સંચાલિત  તોપો માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ બધી જ ૧૫૫ મિમીની ૫૨-કેલીબરની તોપો છે.

એક દિવસ એવો પણ આવશે કે કોઈ મને પૂછે કે "કોણ મોટી તોપ છે?" તો હું વટથી કહીશ કે મારો દેશ! 

સંક્ષિપ્તમાં ભારતની નવી ૧૫૫ મિમીની હાલમાં સંપાદન કરાઈ રહેલી તોપોની યાદી
  • ૧૫૮૦ ખેંચીને લઇ જવાતી તોપ, ૨૫,૦૦૦ કરોડની લાગતે
  • ૧૧૪ "ધનુષ" તોપ, બોફોર્સની સુધારેલી આવૃત્તિ OFB નિર્મિત
  • ૧૪૫ અમેરિકી અત્યંત હળવી BAE Systems દ્વારા નિર્મિત, ૫,૦૦૦ કરોડની લાગતે
  • ૮૧૪ MGS, જીપ પર લાદવામાં આવતી તોપો, ૧૫,૭૫૦ કરોડની લાગતે
  • ૨૮૦ સ્વયં-સંચાલિત tracked and wheeled તોપો
તા.ક. : આ બધું આવતા ૧૦ વર્ષોમાં થશે તે બાદ આપણે ચીનનો સામનો કરવા "અમુક અંશે" તૈયાર થઇ શકશું. સાંભળીને આશ્ચર્ય થયું કે!? જો તમે નિયમિત આપણા લશ્કરી સમાચાર વાંચતા હો તો અને ભ્રષ્ટ કોગ્રેસના રાજમાં દેશનું કેટલું નુકસાન થયું છે તે જાણતાં હોત તો ના થાત. હાલમાં સાધનોની તીવ્ર અછત આપણા લશ્કરને પાંગળું બનાવી રહ્યું છે... આ જુઓ ભારત-ચીન સરખામણી


Saturday, April 23, 2016

એક ટ્રેન-સફર અને બે મુસાફરો.....

૨૪ વર્ષ પહેલાની વાત છે. ૧૯૯૦નો ઉનાળો હતો. ભારતીય રેલ સેવાના અસ્થાયી કર્મચારી એવી હું  અને  મારી મિત્ર લખનૌથી દિલ્લી જઈ રહ્યા હતા. અમારી જ બોગીમાં  બે સંસદ  સભ્યો પણ મુસાફરી કરી રહ્યા હતા. એ ઠીક હતું પણ તેમની સાથેના ૧૨ માણસો જે વગર ટિકિટે બેઠા હતા તેમનું  વર્તન ડરામણું હતું.  તેઓએ બળજબરીથી અમારી બર્થ  ખાલી કરાવી અને અમને  અમારા સામાન પર બેસવા ફરજ પાડી. તે ઉપરાંત તેમણે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણીઓ કરી. અમે ગભરામણથી કોકડું વાળીને સમસમીને બેસી રહ્યા. અસામાજીક તત્વોની સોબતમાં અ બહુ જ ભયાનક રાત હતી. ક્યારે રાત પસાર થઈ જાય અને નવો સૂરજ ઉગે એની અમે અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાકીના મુસાફરો અને ટી.સી. તો ક્યાંય છૂ થઇ ગયા હતા.

બીજે દિવસે સવારે અમે દિલ્લી પહોચ્યાં. અમે શારીરિક રીતે સ્વસ્થ હતા પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મારી મિત્ર તો એટલી હતપ્રભ થઇ ચૂકી હતી કે તેણે આગળની તાલીમ માટે અમદાવાદ જવાનું માંડી વાળ્યું. મેં બીજી એક સખીનો સંગાથ હોવાથી તાલીમ ચાલુ રાખી. (તેનું નામ ઉત્પલ્પર્ણ હઝારિકા છે, જે રેલ બોર્ડમાં ખૂબ ઉંચા હોદ્દા પર છે)  અમે ગુજરાતની રાજધાની માટે રાતની ટ્રેનમાં ચઢ્યા. ઉતાવળે નક્કી થયું હોવાથી પાકી ટીકીટ મળી નહિ અને વેઈટ-લીસ્ટમાં નામ હતા.

અમે પ્રથમ-શ્રેણીની બોગીના ટી.સી.ને મળીને અમદાવાદ સુધી કેમ સફર કરવી એના અંગે વાત કરી. ટ્રેન ખચોખચ ભરેલી હતી અને સીટ મળવી મુશ્કેલ હતું. તે અમને વિવેકથી એક બીજી બોગીમાં લઇ ગયો. મેં સહ-યાત્રીઓ તરફ નજર કરી. ખાદી-વેશભૂષા પરથી બે નેતા જેવા લાગતા વ્યક્તિઓને જોઈને હું ચિંતાતુર થઇ ગઈ. "તેઓ સારા માણસો છે, નિયમિત મુસાફરો છે, ચિંતા કરશો નહિ" - ટી.સી. એ અમને ભરોસો આપ્યો.
 એક ભાઈ ચાલીસની આસપાસના હશે, હાવ-ભાવ પરથી આત્મીયતા વાળા અને મળતાવડા લાગતાં હતા. બીજા ભાઈ, ત્રીસની આસપાસના અને ગંભીર પ્રકૃતિના લાગ્યા. તેઓએ તરત જ ખૂણામાં સંકેલાઈને અમારા માટે જગ્યા કરી.

ગુજરાત ભાજપના નેતા તરીકે તેઓએ પોતાનો પરિચય આપ્યો. તેમણે નામ જણાવ્યા પણ ત્યારે નામ અમારા માટે ખાસ જરૂરી ના હોવાથી યાદ રાખવા કઈ ઝાઝો પ્રયત્ન કર્યો ન હતો. અમે પણ આસામથી આવેલ રેલના તાલીમ કર્મચારી તરીકે અમારી ઓળખાણ આપી. અમે વાતે વળગ્યાં અને જુદા-જુદા વિષયો પર વાર્તાલાપ થયો, ખાસ કરીને ઇતિહાસ અને રાજકારણ અંગે. મારી મિત્રે દિલ્હી યુનીવર્સીટીમાંથી ઇતિહાસમાં અનુ-સ્નાતક હોવાથી તેણે રસપૂર્વક ભાગ લીધો. મેં પણ કંઇક અંશે યોગદાન આપ્યું. વાત વાતમાં હિંદુ- મહાસભા અને મુસ્લિમ લીગના જન્મ/સ્થાપના અંગે વાત ચાલી.

પેલા મોટા-ભાઈ બહુ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી રહ્યા હતા. નાના ભાઈ શાંત હતા, ખાસ બોલી નતા રહ્યા પણ તેઓ પણ આ વાતચીતમાં પૂરેપૂરા ઓતપ્રોત હતા તેવું તેમના હાવભાવ પરથી સ્પષ્ટ  હતું. પછી મેં શ્યામા-પ્રસાદ મુખર્જીના અકાળ અવસાન અને તેના વણ-ઉક્લાયેલા રહસ્યની વાત કરી. ત્યારે તે નાના ભાઈએ તરત પૂછ્યું,  "તમને શ્યામા-પ્રસાદ મુખર્જી અંગે કેવી રીતે ખબર?"  મેં જણાવ્યું કે જયારે મારા પિતા કલકત્તા-યુનિવર્સીટીમાં અનુ-સ્નાતક તરીકે શિક્ષણ લઇ રહ્યા હતા ત્યારે વાઈસ-ચાન્સેલર તરીકે મુખર્જીએ આસામના વિદ્યાર્થીઓ માટે શિષ્ય-વૃતિની વ્યવસ્થા કરી આપી હતી. મારા પિતા ઘણી વાર તેમના અકાળ
અવસાન અંગે ખેદ વ્યકત કરે છે. [૫૧ વર્ષની વયે જૂન- ૧૯૫૩માં]

તે નાના ભાઈ તરત જ  ધીમા અવાજે બોલ્યા, "સારું કહેવાય આમને  આટલી બધી જાણકારી છે."
ત્યારબાદ મોટા ભાઈએ તરત જ અમારી સમક્ષ તેમના રાજનૈતિક દળમાં ગુજરાતમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે હસ્યાં ને કહ્યું કે અમે ગુજરાતના નથી.નાના ભાઈએ તરત ભારપૂર્વક કહ્યું, " તો શું થયું? અમને એની સામે કોઈ વાંધો નથી. પ્રતિભાવાન લોકો અમારે ત્યાં આવકાર્ય છે!" મેં એમની આંખમાં આશાનો ચમકારો જોયો હતો.

ભાણું આવ્યું. ચાર શાકાહારી થાળીઓ. બધાં શાંતિથી જોડે જમ્યા. જયારે પેન્ટ્રી અધિકારી પૈસા લેવા આવ્યા ત્યારે નાના ભાઈએ અમારા બધાના પૈસા ચૂકવી દીધા. મેં નમ્ર ભાવે આભાર પ્રગટ કર્યો પણ તેમણે એક નાની વાત હોય એમ ખાસ નોંધ ના લેવા વિવેક કર્યો. તે ભાઈ ખૂબ ઓછું  બોલતા હતા, મોટે ભાગે સાંભળતા હતા.

એટલામાં ટી.સી. આવ્યા અને એમણે ખેદ વ્યકત કર્યો કે સીટની વ્યવસ્થા થઇ શકી નથી. બંને ભાઈઓ તરત જ ઉભા થઈને  બોલ્યા, "કશો  વાંધો નહિ, અમે ચલાવી  લઈશું."  તેઓએ તરત જ ભોંય પર કપડું પાથર્યું અને સૂઈ ગયા અને અમે બંને એ બર્થ પર લંબાવ્યું.

કેવો વિરોધાભાસ! હજી આગલી જ રાતે મેં બે રાજનેતાઓ જોડે ટ્રેનમાં ગૂંગળામણ અનુભવી  હતી. અને આજે અમે બે રાજનેતાઓ જોડે શાંત ચિત્તે સફર કરી રહ્યા હતા...

બીજે દિવસે સવારે જયારે ટ્રેન અમદાવાદ નજીક પહોંચી ત્યારે બંને નેતાઓએ અમને શહેરમાં રહેવાની વ્યવસ્થા અંગે પૂછ્યું. મોટા ભાઈએ જણાવ્યું કે કઈ પણ તકલીફ હોય તો તેમના ઘરના દરવાજા હમેંશા માટે ખુલ્લા છે. નાના ભાઈએ પણ કીધું કે "મારી પાસે આમંત્રણ આપવા માટે કોઈ સ્થાયી ઘર નથી પણ તમે એમના [મોટા ભાઈના] ઘરે સલામત વાતાવરણમાં રહી શકશો."

અમે તેમને ખાતરી આપી કે અમારા ઉતારાની સગવડ થઇ ચૂકી છે અને કોઈ અગવડ નહિ પડે.

ટ્રેન ઉભી રહી તે પહેલાં મેં મારી નોંધપોથી કાઢી અને તેમના નામ ફરીથી પૂછ્યા. મારે બે એવા મોટા-મનના અને ભલા નેતા કે જેમણે "નેતાઓં" પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલવા વિવશ કર્યા તેમને યાદ રાખવા હતા. ટ્રેન થમી એ પહેલાં મેં નામો નોંધી લીધા. તેઓ હતા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર દામોદરદાસ મોદી.

જયારે પણ હું તેમને ટી.વી પર જોઉં છું ત્યારે તેમના તે દિવસના હૂંફાળા આવકાર, સહ-ભોજન, વિવેક અને સાર-સંભાળ માટે મનોમન વંદન કરું છું.

(લેખક લીના શર્મા રેલ્વે-ઇન્ફોર્મશન બોર્ડમાં દિલ્હીમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છે.)
lotpot.com  પર મૂકાયેલા લેખનું ભાષાંતર....

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...